Thursday, August 1, 2024

હરડે માતા

 હરડે માતા 


જન્મ આપનારી માતા, પાલક માતા, દેવી માતા (અંબિકા, કાળકા, દુર્ગા, મેલડી, ચામુંડા, ઈત્યાદિ) વિશે આપણે બધાં પરિચિત છીએ. પરંતુ શું હરડે માતા વિશે જાણો છો? આયુર્વેદમાં હરડેને માતા કહી છે અને તે લાંબુ આયુષ્ય આપનાર હોઈ અમૃતા પણ છે. હરડે માતાને પ્રેમ કરનાર સુખી રહે. પહેલું સુખ તે જાતે નર્યા. 

હરીતકી, અભયા, પથ્યા, કાયસ્થા, પૂતના, અમૃતા, હૈમવતી, અવ્યથા, ચેતકી, શ્રેયસી, શિવા, વયસ્થા, વિજયા, જીવંતી અને રોહિણી એટલાં હરડેના પંદર સંસ્કૃત નામો છે. કોઈક ખાવાથી, કોઈ સૂંઘવાથી, કોઈ સ્પર્શ કરવાથી અને કોઈ જોવા માત્રથી રેચ લગાવી શકે છે.  હરડેનું ફળ સાત આકારનું હોય છે પરંતુ બજારમાં મોટે ભાગે મોટી અભયા-વિજયા મળતી હોય છે. 

હરડેમાં ખારા સિવાયનાં પાંચ રસો છે. તેથી તે રૂક્ષ, ગરમ, અગ્નિ દીપ્ત કરનારી, બુદ્ધિને વધારનારી, આંખોને હિતકારી, રસાયણરૂપ, આયુષ્ય વધારનારી અને પવનને સવળો કરનારી છે. તે મળબંધ, પેટમાં ગોળો, આફરો, ઉલટી, હેડકી, હ્રદય રોગ, કમળો, પથરી, મૂત્ર અટકાવ, ડાયાબિટીસ, શ્વાસ, ઉધરસ વગેરે રોગોમાં ઉપયોગી ઔષધ છે. 

હરડે પિત્ત, કફ અને વાયુંના દોષોને દૂર કરે છે. મુસાફરી કરી થાકેલાંએ, બળ વગરનાએ, દૂબળા શરીરવાળાએ, લાંઘણ-ઉપવાસ કરેલાંએ, અધિક પિત્તવાળાએ અને ગર્ભવતી સ્ત્રીએ હરડે ખાવી નહીં. 

આપણે બધાં રાંધેલો ખોરાક ખાઈએ છીએ. આપણે જે પણ થઈએ તેની સાત ધાતુ બને અને આપણું જીવન ચાલ્યા કરે. ખોરાકનો રસ બને, રસમાંથી રક્ત બને, રક્તમાંથી માંસ બને, માંસમાંથી મેદ બને, મેદમાંથી અસ્થિ બને, અસ્થિમાંથી મજ્જા બને અને મજ્જામાંથી વીર્ય બને. આ સપ્ત ધાતુ જેની સારી તેની તંદુરસ્તી સારી અને આયુષ્ય પણ સારું. 

પરંતુ આપણો અનુભવ કેવો છે? ઉંમર કરતાં મોટાં દેખાઈએ છીએ અને શરીર સુડોળને બદલે બેડોળ કરી રહ્યા છીએ. જીવવા માટે જમવાને બદલે જાણે આપણે જમવા માટે જીવતાં હોય તેમ રહીએ છીએ. “ભૂખ લગે તો ખાના ખા” એ ઉત્તમ જીવન મંત્ર છે પરંતુ ઘણીવાર ભૂખ ન હોય તો પણ ખાઈએ છીએ. પેટમાં કબજીયાત હોય તો પણ ખાતા રહીએ છીએ. ચા-રોટલી-શાક-મરચાં-માંસ-ખીચડી-ભાત-દાળ-ભજીયાં વગેરે બધુ જઠર આંતરડાંમાં ઠલવતાં રહીએ છીએ. પરિણામે અપચો થાય. નહીં પચેલો ખોરાકનો આમવાત થાય, બધાં સાંધા-શરીરમાં ફેલાઈ જાય અને ત્રિદોષ થતાં અસાધ્ય રોગો થાય અને એક દિવસ મરી જવાય. 

લાંબુ આયુષ્ય વાત, પિત્ત અને કફના સમતોલનમાં છે પરંતુ આપણે બધાં તેની અસમતુલાને કારણે ઓછી તંદુરસ્તી કે રોગોનો અનુભવ કરીએ છીએ. વાત પિત્ત અને કફની સમતુલા તોડવામાં સૌથી મોટો ફાળો ભોજન અને તેના અપચા- કબજીયાતનો છે. 

ગુજરાતના એક નામાંકિત આગેવાન કે.કા. શાસ્ત્રીને મેં એકવાર તેઓ ૯૭ વર્ષના હતાં ત્યારે સાંભળેલાં. તેઓ દિવસમાં બે વાર આહાર લેતાં. બપોરે એકાદ રોટલી, શાક, દાળ-ભાત, દહીંનું જમણ અને રાત્રે દૂધ અને ખીચડી. તેઓ બપોરે દહીં અને રાત્રે દૂધ અચૂક લેતાં. પરંતુ બપોરે અને સાંજે જમ્યા પછી હરડેનો એક ટૂકડો મુખવાસની જેમ મોઢામાં મૂકવાનું નહોતા ભૂલતાં. હરડે તેમના લાંબા આયુષ્યનું રહસ્ય હતી. 

આપણે એવું સમજીએ છીએ કે હરડે લઈએ એટલે ઝાડા થઈ જાય. એ સાચું અને સાચું નહીં પણ. બાબત માત્રાની છે. હરડે પાચક છે અને રેચક પણ છે. તેથી તે પ્રથમ ખોરાકને પચાવવાનું કામ કરે છે અને પછી અપાન વાયુને નીચે ખસેડી મોટા આંતરડા તરફ ધકેલી બહાર કરી દે છે. એકવાર ગટરની લાઈન સાફ કરાવીએ તો આપણાં બાથરૂમ, મોરી, જાજરૂમાં કેવું લાગે છે? બિલકુલ એવું જ આપણી મોઢાથી લઈ ગુદા સુધીના પાઈપની સફાઈ અને તંદુરસ્તીની છે. હરડે તેને તંદુરસ્ત અને સાફ રાખવામાં રામ બાણ ઈલાજ છે. 

શું કરવું જોઈએ? 

૧) દરરોજ બે ટાઈમ ભોજન પછી હરડેનો મુખવાસ તરીકે ઉપયોગ કરવો. માત્રા શરીરની અનુકૂળતા મુજબ સેટ કરવી

૨) જેમને કબજીયાતની તકલીફ હોય તેમણે દર રવિવારે સવારે પાંચ વાગે ઉઠી નરણાં કોઠે એક ચમચી હરડે ગરમ પાણી સાથે લેવી. નવ સાડા નવે સીસ્ટમ સાફ થાય પછી ચા-નાસ્તો કરવો. 

તંદુરસ્ત તન તેનું તંદુરસ્ત મન. તન અને મન તંદુરસ્ત હોય તેને ધન મેળવવામાં અડચણ ઓછી આવે. તેથી માતા પૂજવી હોય તો હરડે માતાને અગ્ર સ્થાન મળે. 

“ઓકી દાતણ કરે, નરણાં હરડે ખાય; દૂધે વાળું જે કરે, તે ઘર વૈદ્ય ન જાય”.

પૂનમચંદ
૧ ઓગસ્ટ ૨૦૨૪

0 comments:

Post a Comment

Powered by Blogger.